કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ઝૂંપડપટ્ટીઓના પુનર્વસન અંગે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી તરનજીત સિંહ સંધુ, દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા, દિલ્હીના શહેરી વિકાસ મંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવ, દિલ્હીના મુખ્ય સચિવ અને કેન્દ્ર તેમજ દિલ્હી સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દિલ્હી ઝૂંપડપટ્ટી અને જેજે ક્લસ્ટર પુનર્વસન અને સ્થળાંતર નીતિ, 2026 ને આજે અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે અને દિલ્હી સરકારે તેને વહેલામાં વહેલી તકે સૂચિત (નોટિફાય) કરવી જોઈએ. તેમણે નિર્દેશ આપ્યો હતો કે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) / દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રુવમેન્ટ બોર્ડ (DUSIB) એ 45 દિવસની અંદર 5 ક્લસ્ટર્સ માટે ટેન્ડર બહાર પાડવા જોઈએ. તેમણે વધુમાં સૂચના આપી હતી કે વધારાના 50 જેજે ક્લસ્ટર્સ માટે પણ પ્રોજેક્ટ દસ્તાવેજો અને ટેન્ડર ફોર્મ તૈયાર કરવા જોઈએ. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દિલ્હી સરકારે દર મહિને ઓછામાં ઓછા 5 PPP-આધારિત પુનર્વસન પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર બહાર પાડવા જોઈએ. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે પુનર્વસન વસાહતોના નિર્માણમાં આંગણવાડી કેન્દ્રો, શૈક્ષણિક સુવિધાઓ, આરોગ્ય કેન્દ્રો અને રમતગમતના મેદાનો જેવી સામુદાયિક સુવિધાઓ માટે પૂરતી અને યોગ્ય જોગવાઈ સુનિશ્ચિત કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે આજે લેવાયેલા નિર્ણયોથી દિલ્હીના જેજે ક્લસ્ટર્સમાં રહેતા 4 લાખ પરિવારોને મોટો લાભ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેજે ક્લસ્ટર્સ માટે પાત્રતાની કટ-ઓફ તારીખ 01.01.2025 નક્કી કરવી જોઈએ. Post navigation વડાપ્રધાન મોદીના 12 વર્ષ: ગુજરાતના વિકાસમાં યોગદાન MY Bharat રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં ‘વંદે માતરમ કેમ્પ’નું આયોજન કરશે